Friday, 5 July 2019

પ્રસ્તાવના: 'દેવદૂત' (સંબંધ,સંવેદના અને સમજણની વાર્તાઓ)


પ્રસ્તાવના:  'દેવદૂત' (સંબંધ,સંવેદના અને સમજણની વાર્તાઓ) પલ્લવી મિસ્ત્રી.

બાળક નાનું હોય ત્યારથી વાર્તાઓ પ્રત્યે એને એક અજબ પ્રકારનો લગાવ હોય છે, જે મોટપણે પણ જળવાય રહે છે. અને એટલે જ વાર્તાના અનેક પુસ્તકો પ્રગટ થતાં જ રહે છે, વાચકો ખુબ જ રસથી એ વાંચે છે પણ ખરા. ‘એક સમયે આવું હતું...’ થી વાર્તાનો પાયો મંડાય છે. ‘પછી શું થયું ?’ માનવીની ઉત્સુકતાને લીધે પુછાતા આ પ્રશ્નથી વાર્તા આગળ વધે છે, અંતે ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ અથવા ‘ખાધું, પીધું ને તારાજ કર્યું’ થી વાર્તાનો સુખાંત કે દુખાંત  થાય છે. મારો આ પ્રથમ વાર્તાસંગ્રહ ‘દેવદૂત’ મારા વાચકોની સમક્ષ મુકતા હું આનંદ અને રોમાંચની લાગણી અનુભવું છું.


વાર્તાસંગ્રહ ‘દેવદૂત’ ની શરૂઆત, મમતા મેગેઝીનમાં દ્વિતીય પારિતોષિક ઇનામ વિજેતા વાર્તા ‘સ્વાગતની તૈયારી’ થી થાય છે.  સંતાન ભલે નાનું હોય, એ પોતાના વિચારો અને વર્તનથી માર્ગ ભૂલેલા માતા પિતાને સાચું માર્ગદર્શન કરી શકે છે, એની વાત આમાં કહી છે. ‘લક્ષ્મણરેખા’ વાર્તા યુવાનીમાં કેવા પ્રકારની ભૂલ થઇ શકે અને એનું કેવું ગંભીર પરિણામ આવી શકે એની વાત  છે. ‘તમે તો કશું બોલશો જ નહિ, પપ્પા’ એ વાર્તા સંતાનોની કેરિયર પાછળ આદુ ખાઈને, એમના બચપણને છીનવી લેનાર દરેક  માબાપને વાંચવાની હું ખાસ ભલામણ કરું છું.

‘એક અનોખા લગ્ન’ હળવીફૂલ સંવાદમય વાર્તા છે. ‘ચલો એક બાર ફિર સે’ વાર્તા પત્ની અને સંતાનને ત્યજી દેનાર વ્યક્તિ વર્ષો બાદ ઘરે  પાછી આવે છે, ત્યારે કેવા સંજોગો ઉભા થાય તેનું સચોટ વર્ણન છે. માનવીને નડતા બધા ગ્રહોને ટપી જાય એવો એક ગ્રહ ‘પૂર્વગ્રહ’ એક સુખી પરિવારને કેવી રીતે પાયમાલ કરે છે એની વાર્તા છે. ‘બદલાયેલા સંબંધો’ વાર્તા એક ખોટવાયેલા સંબંધને સુધારનાર એક અજીબોગરીબ પ્રસંગની વાત છે.

‘ઓપરેશન સક્સેસફૂલ’ એક જીદ્દી માતાના સ્વભાવનું પરિવર્તન કરનાર દીકરી અને એની બહેનપણીની વાત છે.   ’એક આખાય આયખાની વાત’ હું નાની હતી ત્યારે ક્યારેક મારી મમ્મીના મોઢેથી સાંભળેલી, આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાના સમાજ અને પરિવારની થોડી સત્ય અને થોડી કલ્પના પર આધારિત વાર્તા છે. ‘ન મુંહ છુપાકે જીઓ’ વાર્તા પ્રેમમાં પડીને ભાગી જઈને લગ્ન કરનાર એક દીકરીના મનોવલણને પ્રદર્શિત કરતી વાર્તા છે. ’રુચિની ચિઠ્ઠી’  વાર્તામાં અંતે પુત્રવધૂની સાચી ઓળખ છતી થાય છે. ‘વ્યસન નામનો દાનવ’ વાર્તા વાંચીને એકાદ બે વાચક પણ પોતાનું વ્યસન છોડે તો એ વાર્તા લખવાની મારી મહેનત સફળ થઇ ગણાશે. 
  
‘પ્રેમનો અસ્ત કે ઉદય ?’ એ પણ એક હળવાશભરી મજાની વાર્તા છે. ‘પ્રભુની બક્ષીસ’ વાર્તામાં વ્યક્તિથી સંબંધમાં થયેલી ભૂલને માફ કરીને હળવા થવા  બાબતની વાત છે. ‘મૈ તેરે પ્યારમે પાગલ’ એક જાણીતા ફિલ્મ કલાકારના જીવનમાં બનેલી સાચી ઘટના પરથી, થોડી સાંભળેલી અને  થોડી કલ્પના કરીને લખેલી વાર્તા છે. ‘સ્ત્રી દાક્ષિણ્ય’ સ્ત્રી પ્રત્યે સન્માનની ભાવના વિશેની વાર્તા છે. અગેઇન ‘લવમેરેજ કે એરેન્જડ?’ એક  સફળ ઉધોગપતિનો હળવાશભર્યો ઇન્ટરવ્યુ વિશેની વાર્તા છે. અંતમાં આવતી ‘દેવદૂત’ વાર્તા ‘કર્મના સિધ્ધાંત’ પર આધારિત પ્રસન્નતા આપે એવી  વાર્તા છે.

આપણા ઘરોમાં, સોસાયટીમાં, સમાજમાં અને આપણી આજુબાજુ બનતી વાસ્તવિક ઘટનાઓનું અવલોકન કરીને લખાયેલી આ ૧૮ વાર્તાઓ, બની શકે એટલી સરળ અને રસમય શૈલીમાં લખી છે. જે લખવાનો મારો હેતુ વાચકોને પ્રસન્નતા આપવાનો જ છે. વાચકોને એ જરૂર પસંદ આવશે એવી આશા છે. પ્રિય વાચકો, નીચે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપ્યા છે, આપના પ્રતિભાવ આવકાર્ય છે, જરૂરથી મોકલશો, અને હંમેશા પ્રસન્ન રહેજો.

પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.(અમદાવાદ)

 મોબાઈલ : 9327227770       E mail :pallavimistry@gmail.com

No comments:

Post a Comment