પ્રસ્તાવના : ‘શુભ ચિંતક’ (વાર્તાસંગ્રહ – ૨) પલ્લવી જિતેન્દ્ર
મિસ્ત્રી.
આપણે નાના બાળક હોઈએ ત્યારે,
દાદા, દાદી, મમ્મી કે પપ્પા વાર્તાની શરૂઆત કરે ‘એક હતો રાજા અને એક હતી રાણી...’
અને સહેજ થોભે એટલે ગાલને હથેળી પર ટેકવીને અધીરાઈથી આપણે પૂછી બેસીએ, ‘પછી શું
થયું ?’ વાર્તા કહેનાર હસીને આપણા ગાલ પર હળવી થપકી લગાવીને કહે, ‘થોડી ધીરજ રાખ,
કહું તો છું’ બાળપણમાં સાંભળેલી કે વાંચેલી વાર્તાઓ આપણા ભાવજગત પર મોટી અસર કરતી
હોય છે. એટલે જ આપણા વડીલો સમજી વિચારીને આપણો વિકાસ થાય એવી વાર્તાઓ કહે છે. મોટા થયા પછી પણ
આપણા મનના એક ખૂણે પેલું જિજ્ઞાસુ બાળક તો જીવતું જ હોય છે. એટેલે આપણને વાર્તા
અથવા જીવનમાં બનતા બનાવ સાથે એક પ્રકારનો લગાવ તો હોય જ છે.
એ વાત ધ્યાનમાં રાખીને હું બની શકે એટલી હકારાત્મક, રચનાત્મક અને વ્યક્તિ
તરીકે આપણા સમાજે ઘડેલા નૈતિક મુલ્યો જળવાય એવી વાર્તાઓ લખવાનો પ્રયત્ન કરું છું. સંસારમાં
જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ થાય છે, એમ આપણા જીવનમાં પણ દુખ પછી સુખ અને
સુખ પછી દુખ આવતા જ હોય છે.એટલે બધી જ વાર્તાઓના સુખાંત જ હોય એવું નથી હોતું. પણ
બનાવના દુખાંતે પણ આપણને કોઈક શીખ તો મળતી
જ હોય છે. એવો હકારાત્મક અભિગમ અપનાવીને હું વાર્તાઓ લખવાનો અને મારા વાચકોને
રીઝવવાનો પ્રયત્ન કરું છું. આ વાર્તાસંગ્રહ ‘શુભચિંતક’ માં નાની મોટી ૩૪ વાર્તાઓનો
સમાવેશ કરવામાં આવ્યો છે અને શક્ય એટલી
સરળ અને રસમય શૈલીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે.
‘લેખિની’ મેગેઝીન દ્વારા ઇનામ વિજેતા વાર્તા ‘ત્રીજી દીકરી’ થી આ પુસ્તક
‘શુભચિંતક’ ની શરૂઆત થાય છે. એક જ પાનાની આ વાર્તામાં ટૂંકમાં પણ સચોટ રીતે આપણા
સમાજમાં દીકરી પ્રત્યે પૂર્વગ્રહ ધરાવનારને જે કહેવાનું છે તે મેં કહી દીધું
છે. ઘણી ટીપીકલ સાસુઓ ‘અમારા ઘરમાં તો આમ
જ થાય’ એવું કથન, નવી આવનારી પુત્રવધૂને વારે વારે કહેતી હોય છે. ‘અમારું નહિ પણ
આપણું’ એ વાર્તામાં આવી સાસુ હોય ત્યારે પુત્રવધુએ શું કરવું એની વાત કરી છે. ‘પરિવર્તન’
માં આપખુદ પતિનું હૃદયપરિવર્તન કઈ રીતે થયું, એની વાત છે.
જુવાનીના જોશમાં આપણે ઘણી ભૂલો જાણે અજાણે કરી બેસતા હોઈએ છીએ, એનો અહેસાસ
થાય ત્યારે અફસોસ સિવાય કંઈ કરી નથી શકતા એની વાત મેં ‘ડીચ’ નામની અર્ધા પાનાની ટૂંકી
વાર્તા દ્વારા કહી દીધું છે. સરમુખત્યાર
સાસુઓને ખબર નથી હોતી કે નવવધુને એમના કટુવચનો રૂપી કાચની કરચો હાથમાં નહીં,
હૈયામાં વાગતી હોય છે, અને લાંબા ગાળે એનું પરિણામ શું આવે તે મેં વાર્તા ‘કાચની
કરચો’ માં વ્યક્ત કરી છે. ‘જે હશે તે ચાલશે’ વાર્તામાં મેં ‘માન ન માન મૈ તેરા
મહેમાન’ નું મનોવલણ ધરાવનારને પદાર્થપાઠ શીખવ્યાની વાત કહી છે.
બાળકોના રોલ મોડેલ તરીકે પેરન્ટસે કઈ વાત ધ્યાનમાં રાખવી જોઈએ એની વાત ‘શોર્ટ
એન્ડ સ્વીટ’ રીતથી ટચુકડી વાર્તા ‘મેનર્સ’ મા કહી છે. બાળકો યુવાન થાય, પરણે અને
પછી માબાપથી અલગ થાય તો એને કઈ રીતે સ્વીકારવું તેની વાત મેં ‘માંડવાળ ખાતું’
નામની વાર્તાથી કહી છે. ‘કઈ બાર યૂં હી દેખા હૈ’ મનને પ્રસન્ન
કરનારી હળવીફૂલ વાર્તા છે.
‘ભલુ થયું ભાંગી જંજાળ’ વાર્તા પણ બાળકોના નિસ્પૃહી વલણથી દુખી થનાર કોઈ
માબાપને કદાચ ઉપયોગી થઇ શકે. ’બદલાયેલા બા’ વાર્તા વાંચીને બા બદલાઈ
શકે તો ઘરમાં સુખ શાંતિ સ્થપાય. ‘ભર ઊનાળે ચોમાસું’ વાર્તા થોડી
વિવાદાસ્પદ છે. દરેક કિસ્સામાં આવું થાય જ એવું નથી હોતું, પણ થઇ શકે એવી શક્યતા
છે. ‘સમૂહ ભોજન’ વાર્તામાં દીકરી પોતાની માતાને એનું ભુલાયેલું કર્તવ્ય યાદ કરાવે
છે.
‘સદાચાર’ વાર્તા એક વફાદાર અને સંવેદનશીલ પતિની વાત છે. ‘સબક’ વાર્તામાં
રસ્તો ભૂલેલી દીકરીને એની ચકોર માતા પાઠ ભણાવે છે, પણ આપણા સમાજમાં આવું જવલ્લે જ
થાય છે. ‘ઓર્થોડોક્સ વુમન’ એ પતિની ગેરમાન્યતાની વાત છે. ‘બીજાનો મહેલ જોઇને
પોતાની ઝૂંપડી સળગાવવી નહિ’ એવું દર્શાવતી વાર્તા ‘આ ચલકે તુજે મૈ લેકે ચલું’
વાચકોને જરૂર ગમશે. ‘અનુશ્રી’ વાર્તાની નાયિકાની વાત તો સાવ અનોખી છે. ‘જીંદાદિલ સુધામાસી’ તમને નવું શીખતા રહેવાની
પ્રેરણા આપશે.’પછાત’ વાર્તા આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે. ‘નિર્મળ પ્રેમ’ મા
પતિ પત્નીના કલુષિત થયેલા મનને કઈ રીતે સ્વચ્છ કરે છે એ જણાવ્યું છે.
‘બેટી કુછ ભી માંગે તો’ વાર્તા દરેક માબાપે વાંચવી, વિચારવી અને અનુસરવી
જોઈએ. ‘પરફેક્ટ મેચ’ મળવી કે ન મળવી એ તમારી વિચારસરણી પર આધારિત છે. ‘નવજીવન’ એક
કરુણ અને વાસ્તવિક તે છતાં પ્રેરણાત્મક વાર્તા છે. ‘તાળાને અનુરૂપ ચાવી’ મળી જાય
તો મઝા જ મઝા છે. ‘તો ?’ નામની વાર્તા આવા પ્રશ્નોના કોઈ જવાબ નથી હોતા એ દર્શાવે છે.
‘કંજૂસ’ બનવાથી ક્યારેક ફાયદો થતો હશે, પણ ક્યારેક નુકસાન પણ થાય છે.’સીમાને કોણ સમજાવે
?’ આ વાર્તામાં આવતી સીમા જેવી બધી સીમાઓએ જાતે જ સમજવા જેવી આ વાત છે. ‘માડી તારા
મંદિરીએ’ કાળક્રમે હૃદયપરિવર્તન પામેલા ગામડિયા રોમિયોની વાત છે.
‘આખલાના શીંગડા’ થી બચતા આવડી જાય તો આ સંસારના અર્ધા દુખો ઓછા થઇ જાય.
’માયકાંગલો’ આપણે માનીએ છે પણ હમેશા એવો હોતો નથી. ‘જીવનકી ડોર બડી કમજોર’ અમારી
સોસાયટીમાં બનેલા કરુણ બનાવનો ચિતાર છે, જેનાથી ‘દરેકનો મૃત્યુ સમય નિશ્ચિત હોય
છે’ ની વાત પાકી થાય છે. અને અંતે ‘શુભચિંતક’ આવી વ્યક્તિ દરેકના જીવનમાં
હોય તો કેવું સારું ? એવી શુભેચ્છા દર્શાવીને આ વાર્તાથી વાર્તાસંગ્રહ અહી પૂરો કરું
છું.
આપણા ઘરોમાં, સોસાયટીમાં, સમાજમાં અને આપણી આજુબાજુ બનતી વાસ્તવિક
ઘટનાઓનું અવલોકન કરીને લખાયેલી આ ૩૪
વાર્તાઓ, બની શકે એટલી સરળ અને રસમય શૈલીમાં લખી છે. જે લખવાનો મારો હેતુ
વાચકોને પ્રસન્નતા આપવાનો જ છે. વાચકોને એ જરૂર પસંદ આવશે એવી આશા છે. પ્રિય
વાચકો, નીચે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપ્યા છે, આપના પ્રતિભાવ આવકાર્ય છે,
જરૂરથી મોકલશો, અને હંમેશા પ્રસન્ન રહેજો.
પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
એ-૨૦૪, શાલીન ઓટીયમ, કોર્પોરેટ રોડ,
પ્રહલાદ નગર, શાલિન બંગલોની પાછળ, અમદાવાદ-૩૮૦૦૧૫.
મોબાઈલ : 9327227770. E mail : pallavimistry@gmail.com